વલસાડમાં અગરિયાઅોનો સર્વે કરી સહાય માટે માંગ
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લામાં તા. ૨૨, ૨૩ અને ૨૪ જુલાઈ - ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદ તેમજ અગરની બાજુમાં આવેલ નદીઓના ભારે વરસાદના પાણીથી પૂર આવવાને કારણે મીઠાના અગરીયાઓને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી યોગ્ય સર્વે કરી સહાય આપવાની માગણી કરવામાં આવી છે. આ ભારે વરસાદ અને પૂરના કારણે ઘરાસણા મીઠા મંડળી, છરવાડા મીઠા મંડળી, કરદીવા-ભાગલ મીઠા મંડળી અને કકવાડી મીઠા મંડળીના અગરીયાઓ પ્રભાવિત થયા છે. અગરીયાઓ દ્વારા ઉનાળાની ભીષણ ગરમીમાં મીઠાનું ઉત્પાદન કરેલ જે તૈયાર થયેલ પાક (મીઠું) ભારે વરસાદના પૂરનાં કારણે ધોવાઈ ગયેલ છે.
આ નુકસાનના કારણે ૮૦૦ થી ૯૦૦ અગરીયા પરીવારોનાં જીવન નિર્વાહ ઉપર માઠી અસર પડેલ છે, જેના કારણે મીઠું પકવતા અગરીયા ખેડૂતોનાં બાળકોને શિક્ષણ વગેરેમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. સરકાર દ્વારા ઉપરોક્ત મીઠાનાં અગરોમાં આજદિન સુધી કોઈ સર્વેની કામગીરી કરેલ નથી તથા સહાય માટેની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી.
