વાપીમાં રકતદાન શિબિર યોજાઈ
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ તથા જળ, જંગલ અને જમીન સાથેના અતૂટ સંબંધને ઉજાગર કરવાનો દિવસ છે. ત્યારે આજના આધુનિક યુગમાં પણ પૂર્વજોની વિચારધારાને જીવંત રાખી સમાજલક્ષી અને માનવતાવાદી સેવાકાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ‘જય વણઝારા મામા દેવ સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા ઉત્સવ કે અન્ય કાર્યક્રમને બદલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘રક્તદાન ઍ જ જીવનદાન’ના સંદેશને સાર્થક કરતી આ શિબિરમાં આદિવાસી સમાજના ૬૯થી વધુ યુવાન-યુવતીઓઍ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાની અનોખી મિસાલ પૂરું પાડી હતી. ટ્રસ્ટના પ્રમુખ અજયકુમાર ચીમનભાઈ ધોડી તથા મોહનગામ ગ્રામ પંચાયતના સરપંચ સતિષભાઈ હળપતિના માર્ગદર્શન અને પ્રયત્નોથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વલસાડ બ્લડ ડોનેશન બેંકના નિષ્ણાત તબીબો તથા ર્નસિંગ સ્ટાફ દ્વારા રક્તદાન કરનારાઓની જરૂરી તબીબી તપાસ અને રક્તસંગ્રહની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સ્થાનિક ઉમરગામના ધારાસભ્ય રમણભાઈના સુપુત્ર વિજયભાઈ રમણભાઈ પાટકરે પણ જાતે રક્તદાન કરી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન અને સહકાર આપ્યો હતો. આજના સમયમાં લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીમાં વ્યસ્ત હોવા છતાં ‘જય વણઝારા મામા દેવ સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને સમાજમાં માનવતા અને સેવાભાવનો સંદેશ આપવામાં આવ્યો છે.
