ઔરંગા નદીના પુલ પર રસ્તાની સાઈડ ધોવાતાં માર્ગ જાખમી બન્યો
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૩ ઃ વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય અને શહેરી માર્ગોને ભારે અસર પહોંચી છે. વલસાડથી લીલાપોર તરફ જતાં અને ઔરંગા નદી પર આવેલા પુલ નજીક ભારે ધોવાણ થતાં રસ્તો અત્યંત જોખમી બની ગયો છે. સુરક્ષાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
સતત વરસાદી પાણીના વહેણને કારણે ઔરંગા નદીના પુલના છેડે રસ્તાની સાઈડમાં ઍક મોટો અને ઊંડો ખાડો પડી ગયો છે. જેના કારણે પુલની સ્લેબ અને પહોંચ માર્ગને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો હોવા છતાં, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી અથવા લાંબો ફેરો બચાવવા માટે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને રોજ શાળાઍ જતાં નિર્દોષ વિદ્યાર્થીઓ જીવના જોખમે આ તૂટેલા રસ્તેથી જ પસાર થવા મજબૂર બન્યા છે. ચોમાસાની ઋતુમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈનો જીવ જાય તે પહેલાં માર્ગ અને મકાન વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ પુલનું અને ધોવાણ થયેલા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો અને વાહનચાલકોમાં તીવ્ર માંગ ઊઠી છે.
