ગણદેવીમાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત પાંચ ટ્રાન્સફોર્મર બદલાયા
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૪ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગણદેવી શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શનિવારે વિવિધ વિસ્તારોમાં પાંચ નવા વીજ ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં દિવસભર વીજ પુરવઠો ખોરવાતા લોકો ભારે ગરમી વચ્ચે પરેશાન બન્યા હતાં.
મળતી માહિતી મુજબ ઘાંચીવાડ, અવસર વિલા-૧, અવસર વિલા-૨, પશુ દવાખાના વિસ્તાર તેમજ ધનોરી નાકા વિસ્તારમાં કુલ પાંચ નવા ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યા હતા. વીજ કંપનીના જણાવ્યા અનુસાર આ કામગીરીથી આગામી ચોમાસા દરમિયાન વીજ પુરવઠો વધુ સુદ્રઢ બનશે તેમજ વધતી વીજ માંગને ધ્યાનમાં રાખીને ટ્રાન્સફોર્મરો પરનો લોડ પણ ઘટશે. કામગીરી દરમિયાન અવસર વિલા-૧ અને ૨, ઇન્દિરા આવાસ, વૃંદાવન સોસાયટી, તેલુગુ ફળિયા, માકલા ફળીયા, વિજયબાગ, કોશીટ ફળિયા, ખત્રીવાડ, ગોલવાડ, ઉગમણા સ્ટ્રીટ, ધોબીવાડ, અપ્સરા સ્ટ્રીટ, પઠાણવાડ, કળીયાવાડ, કાલુવાડ, જમાદારવાડ, તાઈવાડ, કાંજીવાડ, લક્ષ્મીપાર્ક, પંડ્યા સ્ટ્રીટ, પટેલ સ્ટ્રીટ, સિનેમા રોડ, ઘાંચીવાડ, શાંતિનિકેતન, ભાત મોહલ્લો, કમાલ ફળિયા, ઓમ રેસિડેન્સી, ગોકુળધામ, નવું પોલીસ સ્ટેશન વિસ્તાર, વિશ્રામગૃહ, મીરાપાર્ક, ગાયત્રી સોસાયટી, ખુશી હાઇટ્સ, હરિજનવાસ, ધનોરી ચોકડી, સંસ્કારધામ તથા રહેજ ગામના બળિયાદેવ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વીજળી બંધ રહી હતી.દિવસભર વીજ પુરવઠો ખોરવાતા રહેવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વીજ કંપની દ્વારા હાથ ધરાયેલી આ પ્રિ-મોન્સૂન કામગીરીના પરિણામે આગામી ચોમાસા દરમિયાન વીજ પુરવઠાની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
