ડુંગરી ફળિયામાં બે માલિકો સામે ગુનો
- byDamanganga Times
- 15 June, 2026
વાપી, તા.૧૪ ઃ વાપીના કરવડ રોડ સ્થિત ડુંગરી ફળિયા વિસ્તારમાં બે દિવસ પહેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનાના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ભંગારનો સંગ્રહ કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવતા બે ગોડાઉન માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ કરવડ રોડ પર ડુંગરી ફળિયામાં નૂર કાંટા સામે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ચાર જેટલા ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતાં. ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તથા સંબંધિત વિભાગોઍ તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગોડાઉનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ વાપી મહાનગરપાલિકાની જરૂરી મંજૂરી વિના જ્વલનશીલ અને જોખમી ચીજવસ્તુઓનો ભંગાર મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવતો હતો. આગ લાગવાની ઘટનામાં આ બેદરકારી પણ ઍક કારણ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ગોડાઉન સંચાલક હેર રામ અરૂણ ચૌબે (રહે. દાદરા) અને આફતાબ તુફેલ અહેમદ શેખ (રહે. ડુંગરા, નૂર કાંટા સામે) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
